સોમવાર, 14 માર્ચ, 2011

ચુનંદા શેર ને મુક્તક - સૈફ પાલનપુરી

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી
બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા.

**************

બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,
એની કને ખુદાની કોઈ બાતમી હતી.

**************

હવે તો 'સૈફ' ઈચ્છું છું કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.

**************

ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો,
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.

**************

હું તો વિચારતો રહ્યો ખૂણે ઊભો રહી,
મારી નજીકથી જે ગઈ, જિંદગી હતી.

**************

પહેલા સમું તરસનું એ ધોરણ નથી રહ્યું,
પાણી મળે છે તો ય હવે પી જવાય છે.

**************

જીવી રહ્યો છું કિન્તુ જીવન લાગતું નથી,
એવું મરી ગયું ગયું છે કે મન લાગતું નથી.
લાગે છે મારી લાશને ઊંચકી લીધી છે મેં,
દુઃખ આવે છે તો એનું વજન લાગતું નથી.

**************

કદી વસતી મહીં ભૂલા પડ્યા છો ?
હૃદય જેવા હૃદય સાથે લડ્યા છો ?
મોહબ્બત શું છે ? શું સમજાવું તમને -
કદી કોઈ વાર તહેવારે રડ્યા છો ?

0 ટિપ્પણી(ઓ):