ગુરુવાર, 17 માર્ચ, 2011

પણ....કૈલાસ પંડિત

મુંબઈના મરહૂમ કવિ શ્રી કૈલાસ પંડિત - જેમની ઘણી ગઝલોને મનહર ઉધાસનો કંઠ પણ સાંપડયો છે એમની એક ગઝલ....કેટલી સહજતાથી માનવ સ્વભાવની વાત માંડે છે, અને અચાનક ત્યાંથી ગામના પાદર તરફ લઈ જાય છે..છેલ્લો શેર તો ગઝલનો શિરમોર સમો.

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.

કહેવાતી 'હા'થી નીકળે 'ના'નોયે ભાવ પણ,
માણસની સાથે હોય છે એનો સ્વભાવ પણ.

કેડી હતી ત્યાં ઘાસને, ઉગ્યા છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ.

ભીનાશ કોરી ખૂંપશે, પાનીમાં કોકદી,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.

તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.

0 ટિપ્પણી(ઓ):