શુક્રવાર, 11 માર્ચ, 2011

કાગડાની કવિતા....

શહેરમાં કદાચ એ દેખાતા ઓછા થઈ ગયા છે એટલે કવિતામાં પણ નથી દેખાતા, કાગડા વીશે આ નોંધ સાથે સૈફ પાલનપુરી અને રમેશ પારેખની ગઝલમાં કાગડાની વાત જોઇએ.

ઘરે કોઈના આવવાની એંધાણી કાગડાના આવવાથી થાય છે એ માન્યતા પર સૈફ પાલનપુરી એક અદભૂત શેર આપે છે. કદાચ શહેરમાં કાગડા ઓછા થવાની સાથે ઘરે આવતા મહેમાનો પણ ઘટી ગયા છે!!

ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો,
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.


આ જ વિષય પર એક મારો શેર -

કાગડો કહે, એકલું ઘર,
કો'કની લાગી નજર છે.

અને હવે રમેશ પારેખની આખેઆખી ગઝલ - સડક પર મૃત માણસ જોવા છતાં કંઈ સંવેદના કે દુઃખની લાગણી ના થાય તો કાગડો મરી જાય તો તો ક્યાંથી થાય? જો રમેશ પારેખ હો તો જ આવું કંઇ થાય!

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો.

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો.

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો?
ગમે તે અર્થ ઘટાવ, કાગડો મરી ગયો.

શું કામ જઇને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ, કાગડો મરી ગયો.

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને - કાંવ...કાંવ કાગડો મરી ગયો.

સદાય મૃતદેહ ચૂથી કોને એમાં શોધતો?
લઇ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો.

લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ : ‘કાગડો મરી ગયો’...

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા....
You sotp…stop…stop…now કાગડો મરી ગયો.

0 ટિપ્પણી(ઓ):